ઉપર જોઈ ગયા તેમ કર્મયોગ દ્વારા ક્રિયમાણ કર્મને નિયંત્રિત કરી શકાય અને છૂટાય. ભક્તિયોગ દ્વારા પ્રારબ્ધકર્મ ભોગવીને છૂટાય. પરંતુ સંચિત કર્મમાંથી કેવી રીતે છૂટવું તે ગંભીર સવાલ છે. કારણકે ક્રિયમાણ કર્મ કરવામાં તો માણસ સ્વતંત્ર છે. અને તેને નિયંત્રિત કરવા તે તેના હાથની વાત છે. તે જો ધારે તો ચોક્કસ કરી શકે. પ્રારબ્ધ કર્મ પણ સામી છાતીએ આવીને ઉભા છે. તેને તો જીવનકાળ દરમિયાન ભોગવીને ખતમ કરી શકાય. પરંતુ સંચિત કર્મ તો હજુ પાકીને ફળ આપવા તૈયાર થયા જ નથી, તે સામે આવીને ખડા થયા નથી. વળી તે તો થઇ ગયેલા ક્રિયમાણ કર્મો છે, એટલે તે પાછા નથી થયા કરી શકાતા નથી.
એક વખત થુંકેલુ જેમ પાછું ગળી શકાતું નથી, એક વખત બોલાઈ ગયેલું વચન જેમ પાછું ખેંચી શકાતું નથી, એક વખત બંદુકમાંથી ગોળી છૂટે તે જેમ બંદૂકમાં પાછી આવતી નથી, તેવી રીતે એક વખત ક્રિયમાણ કર્મ થઇ ગયું અને તે સંચિતમાં જમા પડ્યું છે, આ જીવનકાળ દરમિયાન પાકીને પ્રારબ્ધરૂપે સામે આવીને ખડું થયું નથી. તેને ભોગવીને પણ છૂટાય નહિ. એટલે એવા સંચિત કર્મો ભોગવવા હવે પછી દેહ ધારણ કર્યા સિવાય છૂટકો થાય જ નહિ. આ સંચિત કર્મો એટલા થોડા નથી કે જે એક જન્મમાં ભોગવી લઈએ તો છાલ છૂટે.
અનાદિકાળથી અનેક જન્મોના સંચિત કર્મ અસંખ્ય કરોડો હિમાલય જેવા ડુંગરા ભરાય તેટલા જીવની પાછળ પડ્યા છે. અને તે પાકતા જાય છે, તેમ તેમ પ્રારબ્ધરૂપે ભોગવતા જઈએ તો પણ અનંતકાળ સુધી અબજોના અબજો દેહ ધારણ કરીએ તો પણ તે ખૂટે તેમ નથી તો પછી આમાંથી છૂટવું કેવી રીતે? કારણકે આ સંચિત કર્મો અનંતકાળ સુધી જીવને જન્મ-મરણના ચક્કરમાં ફેરવ્યા જ કરે તેટલા બધા છે. અને તો પછી જીવનો મોક્ષ થવો બિલકુલ અસંભવિત બની જાય. જ્યાં સુધી દેહ ધારણ કરવો પડે ત્યાં સુધી મોક્ષ થયો ગણાય નહિ. વેદાંત છાતી ઠોકીને કહે છે કે આવી પરિસ્થિતિથી ગભરાવવાની જરા પણ જરૂર નથી.
જો જીવ ધારે તો આ ચાલુ જીવનકાળ દરમિયાન જ તમામ સંચિત કર્મોને ખતમ કરી શકે છે. પરંતુ તે ભોગવીને ખતમ કરી શકાય તેમ નથી. તેને માટે એક જ ઉપાય છે કે સંચિત કર્મોના જે આટલા મોટા ડુંગરો ભરેલા છે તેમાં માત્ર એક જ દીવાસળી ચાંપી દેવાથી તે તમામ ભસ્મસાત થઇ જશે. આ ભયંકર ડુંગરોમાં અગ્નિ લગાડ્યા સિવાય બીજા કોઈ પણ ઉપાયે અને કોઈ કાળે આટલા બધા સંચિત કર્મો ખતમ થવાના નથી. અને તે અગ્નિ તે 'જ્ઞાનાગ્નિ' છે. જેમ કર્મયોગ દ્વારા ક્રિયમાણ કર્મો નિયંત્રિત કરી શકાય અને ભક્તિયોગ દ્વારા પ્રારબ્ધ કર્મોને પુરેપુરા ભોગવી લેવાય તેમ જ્ઞાનયોગ દ્વારા અનાદિકાળથી અનેક જન્મ-જન્માંતરના એકઠા થયેલા સંચિત કર્મોને ભસ્મસાત કરી શકાય. તેમ કરીને કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ દ્વારા જીવમાત્ર તમામ ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત કર્મોથી મુક્ત થઈને આ જ જીવનકાળને અંતે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરી શકે. સંચિત કર્મોને જ્ઞાનાગ્નિથી બાળીને ભસ્મ કરવાના છે.
ભગવાને પણ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે –
યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિર્ભસ્મસાત્કુરુતેઽર્જુન ।
જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતે તથા ॥
(શ્રીમદ્દ ભગવદ્દ ગીતા - ૪/૩૭)
જેમ અગ્નિમાં નાખેલા તમામ પ્રકારના જાડા, પાતળા, સૂકા, લીલા, લાંબા, ટૂંકા, બધા જ લાકડા બળીને ભસ્મ થઇ જાય છે, તેવી જ રીતે જ્ઞાનાગ્નિમાં નાખેલા તમામ પ્રકારના અશુભ, શુભ, ક્રિયમાણ, પ્રારબ્ધ, તથા તમામ સંચિત કર્મો બળીને ખાક થઇ જાય છે. અને જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે કે જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થાય છે.