Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૪૧ (૧) અકર્મ- કર્મ - વિકર્મ

કર્મની આ ત્રણ સંજ્ઞાઓ છે. ભગવાન ગીતામાં કહે છે કે -

કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ ।

અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૪/૧૭)

કર્મની ગતિ ગહન છે તેવું કબુલ કરીને ભગવાન કહે છે કે -

કર્મણઃ ગતિ: બોધવ્યમ

વિકર્મણઃ ગતિ: બોધવ્યમ

અકર્મણશ્ચ ગતિ: બોધવ્યમ |

કર્મની ગતિ જાણી લેવી. વિકર્મની ગતિ જાણી લેવી. અકર્મની ગતિ પણ જાણી લેવી. કારણ કે કર્મની ગતિ ગહન છે.

આ બાબતમાં ભગવાનનો અભિપ્રાય વાસ્તવમાં શું છે તે જાણવો ઘણો જ કઠણ છે. તેથી જુદા જુદા ભાષ્યકારોએ આ ત્રણ શબ્દોના જુદા જુદા અર્થ તેમના મંતવ્ય પ્રમાણે કરેલા છે. સાધારણ રીતે વિદ્વાનોએ કર્મ, અકર્મ અને વિકર્મનો જે સર્વસામાન્ય અર્થ કરેલો છે તે જોતા જણાય છે કે -

૧. આ લોક અને પરલોકમાં જેનું ફળ સુખદાયી હોય તેવી ઉત્તમ ક્રિયાનું નામ 'કર્મ' (Prescribed action) કહેવાય

૨. જેનું ફળ આ લોકમાં ને પરલોકમાં દુઃખદાયી હોય તેનું નામ વિકર્મ (prohibited action) કહેવાય.

૩. જે કર્મ અગર કર્મત્યાગ કોઈ પણ ફળની ઉત્પત્તિનું કારણ ના બને તે અકર્મ (inaction) કહેવાય.

સાધારણ રીતે આપણે તો મન, વાણી અને શરીરથી થતી તમામ ક્રિયાઓને કર્મ કહીએ છીએ અને તેથી કરીને કર્મ, વિકર્મ અને અકર્મના અર્થ સમજવામાં તકલીફ પડે છે. એટલે તો ભગવાન પણ ગીતામાં કહે છે કે

કિં કર્મ કિમકર્મેતિ કવયોઽપ્યત્ર મોહિતાઃ ।

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૪/૧૬ )

કર્મ એટલે શું અને અકર્મ એટલે શું તે સમજવામાં તો મોટા મોટા બુદ્ધિમાન પુરુષો પણ ગોથું ખાઈ જાય છે કારણ કે તેની ગતિ ગહન છે.

આ ઉપરથી લાગે છે કે માત્ર મન, વાણી અને શરીરની સ્થૂળક્રિયા અગર અક્રિયાનું નામ કર્મ, વિકર્મ અગર અકર્મ નથી પરંતુ કર્તાની ભાવનાને અનુસાર કોઈ પણ ક્રિયા પ્રસંગોપાત કર્મ - વિકર્મ અગર તો અકર્મના રૂપમાં પરિણીત થતી હોય છે.

આ વાત નીચેના દ્રષ્ટાંતોથી સમજી શકાશે.

1. કર્મ:

સાધારણ રીતે મન - વાણી - શરીરથી થતી શાસ્ત્રવિહિત ઉત્તમ ક્રિયાને જ કર્મ કહેવાય. પરંતુ શાસ્ત્રવિહિત વિધિપૂર્વકની ક્રિયા પણ કર્તાના જુદા જુદા પ્રકારના ભાવો ઉપર આધાર રાખે છે અને તેથી જ તે ક્રિયા કરનારની અમુક પ્રકારની ભાવનાને લીધે તે કેટલીક વખત 'કર્મ' ને બદલે 'વિકર્મ' અગર 'અકર્મ' બની જાય છે. દાખલા તરીકે -

  • ફળની ઈચ્છાથી શુદ્ધ ભાવપૂર્વક જો શાસ્ત્રસંમત વિધિથી ઉત્તમ કર્મ કરાય તો તે 'કર્મ' કહેવાય. પરંતુ,

  • તે કર્મ ફળની ઈચ્છાપૂર્વક યજ્ઞ, તપ, દાન, સેવાના રૂપમાં વિધેય કર્મ છતાં ખરાબ દાનતથી પ્રજાનું અનિષ્ટ કરવાની ઈચ્છાથી ( પરસ્યોતસાદનાર્થ) કરવામાં આવે તો તે કર્મ તમોગુણ-પ્રધાન હોવાથી વિકર્મ બની જાય છે, પરંતુ.

  • તે જ કર્મ જો કર્તાપણાના અભિમાન સિવાય અંગત રાગદ્વેષથી પ્રેરાયા વિના, સમષ્ટિના કલ્યાણ માટે ભગવત પ્રીત્યર્થે કરવામાં આવે તો તે 'કર્મ' 'અકર્મ' બની જાય છે.

૨. વિકર્મ

સાધારણ રીતે મન-વાણી-શરીરથી કરાતી હિંસા, અસત્ય, ચોરી વગેરે નિષિદ્ધ કર્મ 'વિકર્મ' કહેવાય છે. પરંતુ આવા વિકર્મ પણ કર્તાની ભાવના અનુસાર કર્મ અગર અકર્મમાં બદલાઈ જાય છે.

દા.ત.

  • આ લોક અગર પરલોકમાં ફળ મળવાની ઈચ્છાપૂર્વક સાચી દાનતથી, શુદ્ધ ભાવથી, જૂઠ, હિંસા, ચોરી વગેરે ક્રિયા (જે દેખીતી રીતે દુનિયાની દ્રષ્ટિએ વિકર્મ ગણાય) તે ગીતાની ભાષામાં 'કર્મ' કહેવાય. શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જૂઠું બોલવાની  બોલવાની પ્રેરણા કરી, અર્જુને પોતાના ગુરુ દ્રોણની તથા પોતાના જ દાદા ભીષ્મની હિંસા કરી, શ્રીકૃષ્ણે સ્યમંતક મણિ તથા ગોકુળમાં માખણની ચોરી કરી છતાં આ ક્રિયાઓ વિકર્મમાં નહિ ગણાતા 'કર્મ'માં બદલાઈ જાય છે.

  • કર્તાપણાના અભિમાન સિવાય રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, સમષ્ટિના કલ્યાણ માટે કરેલું 'વિકર્મ' પણ 'અકર્મ' બની જાય છે. પ્રતિજ્ઞાનો ભંગ કરવો તે પાપ 'વિકર્મ' કહેવાય છતાં શ્રીકૃષ્ણ પ્રતિજ્ઞાનો ભંગ કરીને યુદ્ધમાં શસ્ત્ર (રથચક્ર) પકડીને ભીષ્મ જેવા સત્યપ્રતિજ્ઞને મારવા દોડ્યા તે વિકર્મ નહિ પરંતુ 'અકર્મ' (inaction) ગણાય.

(૩) અકર્મ(Inaction)

મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓ બંધ કરી દઈએ તેને જ અકર્મ કહેવાય તેવું નથી. ખરેખર તો મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓ સંપૂર્ણ-પણે તો બંધ થઇ શકે જ નહિ.

ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ ।

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૩/૫)

કોઈ પણ માણસ એક ક્ષણ પણ ક્રિયાહીન રહી શકે જ નહિ. દેહ ધારણ કરનાર કોઈ પણ માણસ કે પ્રાણીને માટે સંપૂર્ણપણે ક્રિયાનો ત્યાગ કરવાનું શક્ય જ નથી. એટલે નીચે જણાવેલ કર્મને 'અકર્મ' કહી શકાય.

૧. કર્તાપણાના અભિમાન સિવાય કરેલા કર્મ

૨. રાગદ્વેષથી પ્રેરાયા સિવાય કરેલા કર્મ

૩. શુદ્ધબુદ્ધિથી પોતાની પવિત્ર ફરજ સમજીને કરેલા નિત્યકર્મ

૪. મારો ભગવાન રાજી થાય તેવી ભાવનાથી ભગવત પ્રીત્યર્થે કરેલા કર્મ

૫. સમષ્ટિના કલ્યાણ માટે કરેલા કર્મ

૬. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ કરીને કરેલા કર્મ

૭. નિષ્કામ કર્મ

ઉપર્યુક્ત અકર્મ પણ કરનાર કર્તાની હૃદય - ભાવનાફેરને લીધે કેટલીક વખત 'કર્મ' અગર 'વિકર્મ' બની જાય છે. દા.ત.

૧. મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓનો ત્યાગ કરીને એકાંતમાં બેઠેલો ક્રિયારહિત કોઈ સાધક પુરુષ પોતાને સંપૂર્ણ ક્રિયાઓનો ત્યાગી તરીકેનો અહંકાર ધારણ કરીને દેખીતી રીતે તે કંઈ પણ ક્રિયા નહિ કરતો હોવા છતાં કર્મત્યાગનો અહંકાર હોવાને લીધે તેનું એ ત્યાગરૂપ 'કર્મ' પણ અકર્મ બની જાય છે એટલે તેનું ત્યાગરૂપ 'અકર્મ' પણ કર્મ બની જાય છે. તેને કર્મ કર્મત્યાગ કર્યાનું કર્મ કર્યું ગણાય.

૨. પોતાનું કર્તવ્ય પ્રાપ્ત થયું છતાં ભય અગર સ્વાર્થને લીધે અગર તો જવાબદારીથી છટકવા માટે કર્તવ્ય કર્મથી મોઢું ફેરવી લે અને વિહિત કર્મો ના કરે અથવા ખરાબ દાનતથી લોકોને ઠગવા માટે કર્મોનો ત્યાગ કરે તો દેખીતી રીતે તે કંઈ પણ કર્મ નહિ કરતો હોવા છતાં તેનું 'અકર્મ' દુઃખરૂપી ફળ ઉત્પન્ન કરનારું જ બને તે 'અકર્મ' પણ 'વિકર્મ' બની જાય.

ઉપર પ્રમાણે કરેલી ચોખવટથી જણાશે કે કર્મ, અકર્મ, અને વિકર્મનો નિર્ણય માત્ર ક્રિયાશીલતા અગર તો નિષ્ક્રિયતાથી જ ના થઇ શકે. કર્મ કરનાર કર્તાના હૃદયના ભાવ-લક્ષ્ય અગર હેતુને ધ્યાનમાં રાખી તે પ્રમાણે તેની ક્રિયાને કર્મ, અકર્મ અગર વિકર્મ કહી શકાય. કયા હેતુથી, કયા ભાવથી, શા ઉદ્દેશથી ક્રિયા કરવામાં આવે છે તે જાણીને પછી જ તે ક્રિયા કર્મ છે કે અકર્મ છે કે વિકર્મ છે તેનો નિર્ણય થઇ શકે.

ટૂંકાણમાં કહીએ તો ગીતાના ચોથા અધ્યાયના શ્લોકમાં કર્મ, વિકર્મ અને અકર્મ શબ્દો જે ભગવાને વાપર્યા છે તેનો સાદો અર્થ એ થાય કે –

કર્મ એટલે સત્કર્મ -સારું કર્મ - પુણ્યકર્મ

વિકર્મ એટલે ખરાબ કર્મ - પાપકર્મ

કર્મ કે પુણ્યકર્મના સત્કર્મના ઝાડને સુખના ફળ બાઝે અને વિકર્મ (પાપકર્મ)ના ઝાડને દુઃખના ફળ બાઝે અને સુખ અગર દુઃખ ભોગવવા તો દેહ ધારણ કરવો જ પડે. દેહના બંધનમાં તો આવવું જ પડે. માત્ર ફેર એટલો જ કે કર્મ (સત્કર્મ) સોનાની બેડી છે, જયારે વિકર્મ(પાપકર્મ) લોખંડની બેડી છે. પરંતુ છેવટે કર્મ (સત્કર્મ) અગર વિકર્મ(પાપકર્મ) બંને દેહની જેલમાં જીવાત્માને બેડી બંધન સમાન જ ગણાય. તેનાથી મોક્ષ એટલે કે બંધનથી મુક્તિ મળી શકે જ નહિ.

જયારે અકર્મ અલૌકિક વસ્તુ છે. તેમાં ક્રિયા થતી હોવા છતાં કર્તાપણાનું અભિમાન રાગદ્વેષ વગેરે નહિ હોવાથી તેમ જ ઈશ્વરપ્રીત્યર્થે સમષ્ટિના કલ્યાણ માટેની ક્રિયા હોવાથી અકર્મ - Inaction બની જાય છે અને તે સંચિતમાં જમા થતા નથી, તેથી કર્મ તે અકર્મ મોક્ષ (જન્મમરણમાંથી મુક્તિ)નું સાધન બની શકે છે.

ભગવાન આગળ એક બીજી સરસ વાત કહે છે –

કર્મણ્યકર્મ યઃ પશ્યેદકર્મણિ ચ કર્મ યઃ ।

સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૪/૧૮)

દેખે કર્મ અકર્મ મેં, કર્મનમાંહિ અકર્મ

પંડિત યોગી શ્રેષ્ઠતમ કરત સર્વ હી કર્મ

કરત સર્વહી કર્મ કર્મ મેં લિપ્ત ન હોવે

જાનત કર્મ અકર્મ - શાંત મન સુખસે સોવે

કરે દેહ સે કર્મ આપકો નિષ્ક્રિય દેખે

ભોળા જ્ઞાની સોય, આપમેં સબકો દેખે.

કર્મમાં જે અકર્મ જુએ, અને અકર્મમાં જે કર્મ જુએ તે માણસ જ ખરેખર બુદ્ધિમાન અને તે જ યોગી અને તે જ સંપૂર્ણ કર્મોને યથાવત કરનાર છે.

કર્મમાં અકર્મ જોવું એટલે શું? અને અકર્મમાં કર્મ જોવું એટલે શું? આ એક બહુ સમજવા જેવી વાત છે. કર્મમાં અકર્મને દેખો - આ ઉલટી વાત દેખાય છે. કર્મમાં અકર્મ જોવાનો અર્થ એ છે કે પોતે કર્મનો કર્તા હોવા છતાં જાણે કે હું કર્મનો કર્તા નથી એવો ભાવ પેદા થાય, આવો ભાવ ક્યારે પેદા થાય? કર્મ કરતી વખતે પોતે સાક્ષીભાવે રહે, દ્રષ્ટાપદે રહે તો જ આવો ભાવ પેદા થાય.

દાખલા તરીકે, ભોજન કરતી વખતે તમે જાણો કે - હું ભોજન કરતો નથી, હું માત્ર સાક્ષીભાવે જોઈ રહ્યો છું કે શરીરને ભૂખ લાગી છે અને શરીર ભોજન કરે છે. હું તો માત્ર સાક્ષીપદે દ્રષ્ટાપદે રહીને ભોજનની ક્રિયા જોઈ રહ્યો છું - આ સ્થિતિ લાવવી બહુ કઠણ નથી. થોડા જાગ્રત રહેવાની જરૂર છે.

સ્વામી રામતીર્થ એક વખત અમેરિકામાં એક રસ્તા ઉપરથી ચાલતા પસાર થતા હતા ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેમને ગાળો દીધી અને મશ્કરીઓ કરી. જેને ત્યાં ઉતર્યા હતા ત્યાં સ્વામી રામતીર્થ પાછા ફર્યા ત્યારે તેઓ ખુબ આનંદથી હસવા લાગ્યા. ત્યારે ઘરના માણસો પૂછવા લાગ્યા કે શું થયું? શાથી આમ અકારણ હસો છો? સ્વામી રામતીર્થ કહ્યું કે હું અકારણ નથી હસતો. આજે હું રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે કેટલાક લોકો રામને મળ્યા અને રામને ગાળો દેતા હતા અને રામની મશ્કરીઓ કરતા હતા. ઘરના માણસોને આ વાત સાંભળીને નવાઈ લાગી. કારણ કે સ્વામીજીની ભાષા તેમની સમજમાં આવી નહિ. ખુદ રામતીર્થ ઉઠીને કહે છે કે કેટલાક લોકો રામને મળ્યા અને રામને ગાળ દીધી અને રામની મશ્કરીઓ કરી, આ કેવું? સ્વામી રામતીર્થ આગળ કહેવા લાગ્યા કે લોકો રામને ગાળો દેતા હતા અને મશ્કરી કરતા હતા તેથી રામ થોડી મૂંઝવણમાં પડ્યા હતા, અને રામને મૂંઝવણમાં પડેલા હું જોઈ રહ્યો હતો અને રામને ગાળો દેનાર લોકોને પણ હું જોઈ રહ્યો હતો.

ઘરના લોકોએ સ્વામી રામતીર્થને પૂછ્યું કે આ વાત શી છે અને તમે કેવી વાત કરો છો? તમે ભાનમાં છો કે નશામાં છો?

સ્વામી રામતીર્થે કહ્યું કે હું તો સંપૂર્ણ ભાનમાં છું, પણ તમે બધા નશામાં છો. હું ભાનમાં છું તેથી તો આ વાત કરું છું. જો નશામાં હોત તો હું એમ સમજત કે પેલા માણસો મને ગાળો દે છે. પરંતુ હું સંપૂર્ણ ભાનમાં હતો તેથી હું જાણતો હતો કે પેલા માણસો મને ગાળો નથી દેતા પરંતુ રામને ગાળો દે છે. તેથી હું સાક્ષીરુપે દ્રષ્ટારૂપે રહીને પેલા ગાળો દેનારા માણસો સામે માત્ર નિર્વિકાર ભાવે જોઈ રહ્યો હતો. 'રામ' અને 'હું' એ બે અલગ છે એવો સાક્ષીભાવ દ્રષ્ટાભાવ કેળવાય તો કર્મમાં પણ અકર્મ દેખાય.

તમે ભોજન કરી રહ્યા છો ત્યારે રામ ભોજન કરી રહ્યા છે એવું તમે સાક્ષીભાવે જોયા કરો. રામને ભૂખ લાગી છે, રામને ઊંઘ આવી છે. તમે સાક્ષીરુપે છેટા ઉભા રહીને જુઓ. આમ છેટા ઉભા રહીને સાક્ષીરુપે જોવાની કળા જ કર્મને અકર્મ બનાવી દે છે. ત્યારે માણસ કર્મ કરતો હોવા છતાં અકર્તા બની જાય છે.

પરંતુ એથી વધારે અઘરી બીજી વાત ભગવાન કહે છે કે 'અકર્મણિ ચ કર્મ ય: પશ્યેત' - અકર્મમાં કર્મ જુએ તે ખરો જ્ઞાની છે. કાંઈપણ નહિ કરતો હોવા છતાં પણ કર્તા જેવો થઇ જાય. પહેલી વાત સમજવી સહેલી છે કે જો સાક્ષી ભાવ હોય તો કર્મ થતું હોવા છતાં એવું ના લાગે કે હું કર્મ કરું છું. માત્ર દ્રષ્ટાપદે જોઈ રહ્યો છું, પણ આ બીજી વાત જરા અઘરી છે - જે કર્મ ના કરતો હોવા છતાં કર્મ કરતો લાગે.

ખરું જોતા તે પહેલી વાતમાં કહેલી સાક્ષી ભાવે રહેવાની, દ્રષ્ટાપદે રહેવાની સ્થિતિ જો કેળવાય તો બીજી વાતમાં કહેલી સ્થિતિ સ્વાભાવિક રીતે, તેની મેળે જ પ્રાપ્ત થઇ જાય છે. કારણ કે તે સ્થિતિમાં આ સમગ્ર સંચારચક્ર ચલાવનાર પરમાત્મા સાથે તાદાત્મ્ય અનુભવાય છે અને તે પરમાત્માની તમામ શક્તિઓ પોતાની જ શક્તિઓ છે, તેવો ભાવ જાગ્રત થાય છે અને સૃષ્ટિમાં જે કાંઈ થઇ રહ્યું છે તે પોતે જ કરી રહ્યો છે તેવો કર્તાપણાનો ભાવ સ્થિર થાય છે.

સ્વામી રામતીર્થ એક વખત ખુબ આનંદમાં આવી જઈને કહેવા લાગ્યા કે જુઓ! આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી વગેરેને સૌના પહેલા મેં જ ગતિ આપેલી છે, અને ગતિમાન કર્યા છે, ચાલતા - ફરતા કર્યા અને હું જ તેમને સર્વેને સર્વથા ગતિમાન - ફરતા રાખું છું. મેં જ સૌથી પહેલા ચાંદ - તારાઓને ઈશારો કર્યો અને ગતિમાન કરી દીધા છે. લોકોએ પૂછ્યું, તમે? ભરોસો પડતો નથી? રામે કહ્યું કે, હા, મેં એટલે રામતીર્થે જ નહિ - મેં એટલે શરીરધારી રામતીર્થે નહિ પરંતુ તેનાથી અલગ જે હું છું તેણે.

આ પ્રમાણે અંદર જે સાક્ષીરુપે બેઠેલ છે તે દ્રષ્ટાપદે ઉભો રહે તો તેને સર્વશક્તિશાળી પરમાત્મા સાથે તાદાત્મ્ય થઇ જાય છે અને તે કાંઈ પણ નહિ કરતો હોવા છતાં તે બધું જ કરે છે. આનું નામ અકર્મમાં પણ કર્મ જોવું તે. પછી તે ખાલી બેઠો હોય તો પણ તે બધું જ કરી રહ્યો છે. હવાને પણ ચલાવે છે, વૃક્ષને પણ તે ઉગાડે છે, ફૂલને પણ તે ખીલવે છે, તે વૃક્ષ નીચે આંખ મીંચીને બેઠેલો હોવા છતાં તે જ ચંદ્ર તથા સૂર્યને ચલાવે છે.

સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ॥

તે જ પુરુષ સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને તે જ યોગી સંપૂર્ણ કર્મોને કરવાવાળો છે. કર્મ સહજ થવાથી તેનું અકર્મ બને છે. સહજ સ્વાભાવિક કર્મને જ અકર્મ કહે છે.

સૂર્યનારાયણ ઉગે છે કે તુરત કરોડો ડોલોથી ઉલેચવા જઈએ તો પણ ના ઉલેચાય તેવા ગાઢ અંધકારને તાત્કાલિક દૂર કરે છે. છતાં તમે સૂર્યનારાયણને પૂછો કે આપે આવો ગાઢ અંધકાર દૂર કર્યો તે બદલ આપનો આભાર માનીએ તો સૂર્યનારાયણ એમ જ કહે કે મેં અંધકાર દૂર કર્યો જ નથી. પરંતુ મારા અસ્તિત્વ માત્રથી અંધકાર એની મેળે જ, સહજ રીતે જ, સ્વાભાવિક રીતે જ દૂર થઇ ગયો છે. અને જો તેમ ના થાય તો મારા અસ્તિત્વનો કશો અર્થ જ નથી. મારુ સૂર્યનારાયણ તરીકેનું નામ જ ભૂંસાઈ જાય. આ કર્મમાં અકર્મ જોવાનો અને અકર્મમાં કર્મ જોવાનો પ્રત્યક્ષ દાખલો છે. ભયંકર, પ્રગાઢ અંધકારને દૂર કરતા હોવા છતાં સૂર્યનારાયણ કાંઈ કરતા નથી અને કાંઈ પણ નહિ કરતા હોવા છતાં તે પ્રગાઢ ભયંકર અંધકારને (ઉદય થતા જ) તાત્કાલિક દૂર કરે છે.

ભમરડો જયારે તેની highest velocity ઉપર સંપૂર્ણ રીતે ફરતો હોય છે, ત્યારે આપણે કહીએ છીએ કે ભમરડો ઊંઘે છે. આ કર્મમાં અકર્મ જોવાનો દાખલો છે. યંત્રનું પૈડું જોરથી ફરે છે ત્યારે ફરતું નથી પરંતુ સ્થિર ઉભું હોય તેવું દેખાય છે.

પ્રકાશ કરવો અને અંધકાર દૂર કરવો તે સૂર્યનો સહજ સ્વભાવ - સ્વધર્મ છે. કૂકડો પરોઢીએ બોલે છે તે તેનો સહજ ધર્મ છે. તેને માટે તેને કોઈએ માનપત્ર આપ્યું નથી. કિલકિલ કરવું તે પક્ષીનો સહજ ધર્મ છે. બાની યાદ આવવી તે બચ્ચાનો સહજ ધર્મ છે. ઈશ્વનું સ્મરણ કરવું તે સંતોનો સહજ ધર્મ છે.

સમષ્ટિના કલ્યાણ માટે, લોકસંગ્રહાર્થે, ભગવદ્પ્રીત્યર્થે, રાગદ્વેષથી પ્રેરાયા સિવાય સ્વાભાવિક રીતે તમામ કર્મ કરવા તે સાધુપુરુષોનો સહજ ધર્મ છે અને તેમના તેવા તમામ કર્મ અકર્મ દશાએ પહોંચેલા છે તેમ સમજવું.

સેવાકર્મો જ્ઞાનીનાં સહજકર્મો છે. ઉપકાર કરવાનો તેનો સ્વભાવ થઇ જાય છે. હું ઉપકાર નહિ કરું તેવું તે કહે તો પણ તે તેના માટે અશક્ય છે. સંન્યાસ આથી પરમ ધન્ય અકર્મ સ્થિતિ છે.

બેસી રહો. તો પણ તે એક ક્રિયા થઇ. બેસવું ક્રિયાપદ છે. કેવળ વ્યાકરણ-દ્રષ્ટિથી જ એ ક્રિયા છે તેવું નથી. સૃષ્ટિશાસ્ત્રમાં પણ બેસવું એ ક્રિયા જ છે. કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે. ચોવીસ કલાક કર્મ કરવામાં મંડયો રહેવા છતાં સૂર્ય લેશ માત્ર કર્મ આચરતો નથી.

સૂર્ય કર્મ કરવા છતાં કર્મ કરતો નથી એવી સ્થિતિનું વર્ણન કર્યું. તેવો તેનો બીજો પ્રકાર પણ છે. તે કોઈ પણ કર્મ કરતો નથી છતાં આખી દુનિયા પાસે કર્મ કરાવે છે. એ એની બીજી બાજુ છે. તેનામાં પાર વગરની પ્રેરક શક્તિ છે. અકર્મની એ જ ખૂબી છે. અનંત કાર્યને સારું જરૂરી શક્તિ અકર્મમાં ભરેલી હોય છે.

વરાળને પુરી રાખો તો તે પ્રચંડ કામ કરે છે. એ પૂરી રાખેલી વરાળમાં અઢળક શક્તિ પેદા થાય છે. મોટી મોટી આગગાડી તે સહેજ રમતમાં ખેંચી કાઢે છે.

આમ કર્મ અને અકર્મ બંને અસામાન્ય છે. એક પ્રકારમાં કર્મ ખુલ્લું છે અને અકર્માવસ્થા ગુપ્ત હોય છે. બીજામાં અકર્માવસ્થા ખુલ્લી દેખાય છે, પણ તેને લીધે અનંત કર્મ ઠાંસીને ભરેલું હોવાથી પ્રચંડ કાર્ય પાર પાડે છે. જેની અવસ્થા આવી અવસ્થા સિદ્ધ થયેલી હોય તેની અને આળસુ માણસની વચ્ચે મોટો ફેર છે.

સૂર્ય જાણે કશા હોંકારા કરતો નથી પણ તેને જોતાંની સાથે પક્ષીઓ ઉડવા માંડે છે. ઘેટાં-બકરા નાચવા માંડે છે. વેપારીઓ દુકાન ઉઘાડે છે. ખેડૂતો ખેતરમાં જાય છે અને જગતના જાતજાતના વહેવારો ચાલુ થાય છે. સૂર્ય કેવળ હોય એટલું જ પૂરતું છે. એટલાથી અનંત કામો ચાલુ થાય છે. આ અકર્માવસ્થામાં અનંત કર્મોની પ્રેરણા ભરેલી છે.